રાજકોટ. તા.૦૭
લાપાસરીમાં રહેતી નિકિતબા હરદેવસિંહ ભટ્ટી (ઉ.વ.૨૩) નામની ક્ષત્રિય પરિણીતાએ પોતાના ઘરે છતના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી.લોખીલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી પરિણીતાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયેલ હતાં અને સંતાનમાં એક પુત્રી છે. તેના પતિ ખેતીકામ કરે છે અને તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાથી પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવથી પુત્રી મા વિહોણી બનતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો.