રાંચીમાં ફેલાયું ટેન્શન, સડકો પર તોફાન, શું થયું જુઓ
રાંચીમાં તોફાનીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કર્યા બાદ ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. માંડર પોલીસ થાણા વિસ્તારમાં બનેલી આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. હજ્જારો હિન્દુઓ હાથમાં લાઠી અને ડંડા લઈ સડક ઉપર ઉતરી પડયા હતા. કેટલાકના હાથમાં ઘાતક શસ્ત્રો પણ હતા. અનેક સ્થળોએ હિન્દુઓએ જબરજસ્ત પ્રદર્શનો કર્યા હતા. પરિસ્થિતિને અનુલક્ષીને વધારાનું પોલીસ દળ ત્યાં ગોઠવાઈ ગયું હતું. પોલીસ અધિકારીઓ સ્થાનિક લોકોને શાંત રાખવાની કાર્યવાહીમાં લાગી ગયા હતા.
માંડરના મુડમા વિસ્તારમાં મહાવીર મંદિર, છોટા-બજરંગ-બલિ-મંદિર, બૂઢા મહાદેવ અને મડઈ-દેવ મંદિરના મંડળોની પ્રતિમાઓને અસામાજિક તત્વોએ કટર મશીનથી ખંડિત કરી હતી.
શુક્રવારે રાત્રે બનેલી આ ઘટના પછી તેની જાણ થતા હજ્જારો હિન્દુઓ હાથમાં લાઠી, ડંડા અને કેટલાક ઘાતક શસ્ત્રો સાથે માર્ગો ઉપર આવી ગયા હતા. તેમાં મહિલાઓ મોટા પ્રમાણમાં હતી અને તે તોફાનીઓની ધરપકડ કરવા સુત્રોચ્ચાર કરતા હતા. તેટલું જ નહીં પરંતુ તે ઉપદ્રવીઓને ફાંસીની સજા કરવાની માગણી કરતા હતા.