વન નેશન વન ઇલેક્શનની તૈયારી તરફ આગેકૂચ : રાજકોટ સહિત રાજ્યના 91 BLOને દિલ્હીમાં બે દિવસની તાલીમ
ભારત સરકાર દ્વારા ચૂંટણી ખર્ચ ઘટાડવાની સાથે સમય બચત માટે દેશમાં વન નેશન વન ઈલેક્શન અમલી બનાવી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા માટે બંધારણમાં સૂચવેલો સુધારો હાલમાં સંસદીય સમિતિ હસ્તક છે ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત જ બુથ લેવલ ઓફિસરો માટે દિલ્હી ખાતે બે દિવસીય તાલીમ યોજવામાં આવી છે જેમાં રાજકોટ સહિત રાજ્યના 19 જિલ્લાના 91 બીએલઓ અથવા સુપરવાઈઝરને આગામી શુક્ર-શનિવારે બે દિવસની તાલીમ આપવામાં આવશે, નોંધનીય છે કે, આ તાલીમને વન નેશન વન ઇલેક્શનની તૈયારી માટે જોવાઈ રહી છે.

દેશમાં વન નેશન વન ઈલેક્શન અમલી બને તો 96 કરોડથી વધુ મતદારો માટે 10 લાખથી વધુ મતદાન મથકો ઉપર એકસાથે ચૂંટણીનું આયોજન કરવું એક વિશાળ પડકાર છે. જો કે, હાલમાં આ બિલ જેપીસી એટલે કે,સંયુક્ત સંસદીય સમિતિ પાસે રહેલું હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા આ દિશામાં આગળ વધવા માટે તૈયારી શરૂ કરવામાં આવી હોવાના સંકેતો મળી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત જ બીએલઓ એટલે કે, બુથ લેવલ ઓફિસરોને તાલીમ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે જેમાં આગામી શુક્ર અને શનિવારે રાજકોટ સહિત 19 જિલ્લાની 91 વિધાનસભા બેઠકોના એક -એક બીએલઓને તાલીમ આપવામાં આવશે.

વધુમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તાલીમ યોજવામાં આવતા રાજ્યના કુલ 91 બીએલઓને અમદાવાદથી દિલ્હી મોકલવામાં આવશે જેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, મેહસાણા, બનાસકાંઠા, પાટણ સહિતના 19 જિલ્લાની 91 વિધાનસભા બેઠકના બીએલઓ અથવા સુપરવાઈઝરને બે દિવસની તાલીમ આપવામાં આવશે બાદમાં આ તાલીમાર્થીઓ અન્ય બીએલઓને તાલીમ આપશે.
આ પણ વાંચો : બોમ્બ નહીં શોધી શકો એટલે કોર્ટ જ ખાલી કરજો…રાજકોટની કોર્ટને ઉડાવી દેવાના મેઈલથી બધા ધંધે લાગ્યા
મતદાન મથકોમાં મતદારોની સંખ્યા 1200 કરાશે
રાજ્યમાં તમામ મતદાન મથકોમાં એકસૂત્રતા જળવાઈ રહે અને ચૂંટણી સમયે મતદાન મથક ઉપર મતદારોની લાઈનો ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા મહત્વનો નિર્ણય લઈ તમામ મતદાન મથકોમાં મતદારોની સંખ્યા 1200 સુધી સીમિત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.હાલ રાજકોટ જિલ્લામાં 2256 મતદાન મથકો છે જેમાં અનેક મતદાન મથકમાં મતદારની સંખ્યા 1200થી વધુ હોય નવા નિયમ અન્વયે જિલ્લામાં 700 મતદાન મથકો વધે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : તો ભરોસો કોણ કરશે? રાજકોટમાં DCBના નંબર પર ફરિયાદ નોંધાવનારને મળી ધમકી, વાંચો સમગ્ર ઘટના
શું છે વન નેશન વન ઈલેક્શન બિલ?
દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે એક જ દિવસે અથવા ચોક્કસ સમયમર્યાદામાં યોજી ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી માટે વન નેશન વન ઈલેક્શન હેઠળ ચૂંટણી યોજવા બંધારણમાં સુધારો કરવા 17 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય કાયદા રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બંધારણમાં 129મો સુધારો બિલ, 2024 રજૂ કર્યું હતું જે 19 ડિસેમ્બર 2024ના રોજ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે.નોંધનીય છે કે, 1951-52થી 1967 સુધી ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી. જોકે, 1968-69માં કેટલીક વિધાનસભાઓનું વહેલું વિસર્જન થતાં આ ચક્ર તૂટ્યા બાદ અલગ અલગ ચૂંટણી યોજાઈ રહી છે.