વિશ્વના 3 મુખ્ય ઓઇલ સપ્લાય માર્ગો ઠપ થતાં વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર તેની ગંભીર અસરો
કોઈપણ દેશના અર્થતંત્રને જીવંત રાખવા માટે ઓઇલ અને ગેસ એ લોહી સમાન છે, અને જો આ લોહીને પહોંચાડતી મુખ્ય નસો જ અચાનક બંધ થઈ જાય તો સમગ્ર વિશ્વ માટે ગંભીર જોખમ ઊભું થાય છે હાલમાં મધ્ય-પૂર્વમાંથી દુનિયાભરમાં ઓઇલ પહોંચાડતા ત્રણ સૌથી મહત્ત્વના માર્ગો પર યુદ્ધ અને આતંકવાદના કારણે ગંભીર સંકટ ઘેરાયું છે.
વિશ્વના ઓઇલ સપ્લાયની ‘લાઇફલાઇન’ સમાન 3 માર્ગોનું મહત્ત્વ
વિશ્વમાં દરરોજ વપરાતા કુલ ઓઇલનો લગભગ ૩૦ ટકા હિસ્સો ત્રણ મુખ્ય દરિયાઈ અને પાઇપલાઇન માર્ગો પરથી પસાર થાય છે.
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz): ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો આ રસ્તો વિશ્વના કુલ ઓઇલ સપ્લાયનો ૨૦ ટકા હિસ્સો સંભાળે છે, જે હાલમાં તણાવને કારણે ખોરવાયેલો છે.
સાઉદી અરેબિયાની ‘ઈસ્ટ-વેસ્ટ’ પાઇપલાઇન: હોર્મુઝના જોખમથી બચવા બનાવેલી આ ૧૨૦૦ કિમી લાંબી પાઇપલાઇન દ્વારા રોજના ૪ થી ૫ મિલિયન બેરલ ઓઇલની નિકાસ થાય છે, જેને ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલાના ડરથી હાલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
બાબ-અલ-મંદેબ સામુદ્રધુની (Bab-al-Mandeb): લાલ સમુદ્રને અરબી સમુદ્ર સાથે જોડતો આ ૨૯ કિમી પહોળો જળમાર્ગ વિશ્વનું ૫% થી ૧૨% ઓઇલ અને ગેસ વહન કરે છે, જે હાલ હૂથી વિદ્રોહીઓના નિશાના પર છે.
હૂથી વિદ્રોહીઓનો પ્રભાવ અને દરિયાઈ માર્ગો પર જોખમ
યમનમાં સક્રિય ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓએ આક્રમક અભિયાન ચલાવીને ‘મોચા’ બંદર, ‘માયુન’ અને ‘હનિશ’ ટાપુઓ પર કબજો જમાવી દીધો છે જો આ માર્ગો સંપૂર્ણ બંધ થાય અથવા વીમા પ્રીમિયમ વધે, તો શિપિંગ કંપનીઓએ સુએઝ કેનાલ છોડીને આફ્રિકાના ‘કેપ ઓફ ગુડ હોપ’ નામના લાંબા અને ખર્ચાળ રસ્તે જવું પડશે ઉદાહરણ તરીકે, સાઉદીના યાનબુ બંદરથી જાપાન જવાનું અંતર ૧૪,૨૦૦ કિમીથી વધીને ૨૭,૨૦૦ કિમી થઈ જશે અને સમય તથા ઈંધણનો ખર્ચ બવડાઈ જશે.
આ પણ વાંચો: કરવેરાની જમાવટ: ઈંધણ પરના ટેક્સથી ગુજરાત સરકારને થઈ 1 વર્ષમાં 21,992 કરોડની બંપર કમાણી
વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકો પર અસરો
આ કટોકટીની સીધી અસર આમ જનતાના ખિસ્સા અને વૈશ્વિક બજાર પર પડશે
મોંઘવારીનો ઉછાળો: ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ મોંઘા થશે.
સપ્લાય ચેઈન તૂટવી: દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ અને અનાજની હેરાફેરી અટકવાથી ચીજવસ્તુઓની અછત સર્જાશે.
ઉત્પાદન ખર્ચમાં વધારો: ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી ફેક્ટરીમાં બનતો માલ મોંઘો થશે અને ફુગાવો વધશે.
શેરબજારમાં કડાકો: કંપનીઓના નફામાં ઘટાડો થવાથી વૈશ્વિક શેરબજારો પ્રભાવિત થશે.
ભારત માટે ખતરાની ઘંટડી
ભૌગોલિક રીતે ભારત બાબ-અલ-મંદેબથી ૩૦૦૦ કિમી દૂર છે, પરંતુ આર્થિક દ્રષ્ટિએ આ કટોકટી ભારત માટે મોટો ફટકો છે.
આયાત મોંઘી બનશે: ભારત પોતાની જરૂરિયાતનું ૮૦% થી વધુ ઓઇલ આયાત કરે છે જળમાર્ગો ખોરવાતા વર્ષ ૨૦૨૩માં દરરોજની ૯.૩ મિલિયન બેરલ આયાત ઘટીને ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ૪.૨ મિલિયન બેરલ થઈ ગઈ છે.
નિકાસને નુકસાન: ભારત વૈશ્વિક સ્તરે મોટું ‘રિફાઇનિંગ હબ’ છે અને યુરોપની મોટી ડીઝલ માંગ પૂરી કરે છે (ઓગસ્ટ ૨૦૨૬માં યુરોપની ૬૦% ડીઝલ માંગ ભારતે પૂરી કરી હતી) લાલ સમુદ્રનો માર્ગ બંધ થવાથી મુંબઈથી યુરોપના રોટરડેમ બંદરનું અંતર ૧૫,૭૦૦ કિમીથી વધીને ૨૩,૦૦૦ કિમી થઈ જશે.
સ્પર્ધામાં પછડાટ: માલ મોકલવાનો ખર્ચ વધવાથી યુરોપિયન બજારોમાં ભારતીય માલ મોંઘો થશે, જેનાથી ચીન જેવા દેશો સામે સ્પર્ધામાં ભારત પાછળ પડી શકે છે.
સારરૂપે કહીએ તો, બાબ-અલ-મંદેબ, સાઉદી પાઇપલાઇન અને હોર્મુઝની સામુદ્રધુની પર છવાયેલું આ સંકટ દુનિયાને ૧૯૭૦ના દાયકા જેવી ભયંકર ઓઇલ કટોકટી તરફ ધકેલી શકે છે ભારતની અર્થવ્યવસ્થા ઊર્જાની આયાત અને નિકાસ પર આધારિત હોવાથી આ સ્થિતિ એક મોટા આર્થિક પડકાર સમાન છે.
