AC બગડતાં સ્પાઇસજેટની ફ્લાઇટમાં અફરાતફરી, 100થી વધુ મુસાફરોએ મુસાફરીનો કર્યો ઇનકાર
દિલ્હીથી પુણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ટેકઓફ પહેલાં જ બંધ કરવી પડી. કારણ? કેબિનમાં AC બંધ અને ભેજથી મુસાફરો ગૂંગળાવા લાગ્યા. 11 ઓગસ્ટની રાત્રે રનવે પર 40-45 મિનિટ સુધી ફસાયા બાદ મુસાફરોના “શ્વાસ નથી આવતો, ગેટ ખોલો”ના નારાથી સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ. અંતે એરલાઇનને ફ્લાઇટ પરત બોલાવવી પડી અને વૈકલ્પિક ફ્લાઇટ સવારે 5:30 વાગ્યે મોકલવી પડી.
શું બની હતી આખી ઘટના?
દિલ્હીથી પુણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટ મંગળવારે, 11 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ તે મોડી પડી અને 11:30 વાગ્યે નવો સમય આપવામાં આવ્યો.
મુસાફરો ફ્લાઇટમાં બેઠા ત્યારે જ કેબિન ખૂબ ગરમ અને ભેજવાળી લાગી. AC કામ કરી રહ્યું ન હતું. શરૂઆતમાં મુસાફરોએ ધીરજ રાખી કારણ કે સામાન્ય રીતે દરવાજા બંધ થયા બાદ અને ટેક્સી દરમિયાન AC ચાલુ થઈ જાય છે. પરંતુ રનવે પર લગભગ 40થી 45 મિનિટ સુધી ટેક્સી કર્યા પછી પણ AC શરૂ ન થયું.
આ પણ વાંચો: 11 વર્ષના પ્રેમ બાદ રોનાલ્ડોએ જોર્જિના સાથે લગ્ન કર્યા, 5 બાળકો બન્યા સાક્ષી
ગૂંગળામણ અને વિરોધ
ગરમી અને વેન્ટિલેશનના અભાવે મુસાફરોને ગૂંગળામણ થવા લાગી. ફ્લાઇટમાં ગર્ભવતી મહિલાઓ પણ હતી. ઘણા લોકો પરસેવાથી લથપથ થઈને બેભાન થવાને આરે પહોંચી ગયા.
જ્યારે મુસાફરોએ કેબિન ક્રૂને AC ચાલુ કરવાનું કહ્યું તો તેમને ફક્ત બેસી રહેવાનું કહેવામાં આવ્યું. આનાથી મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો. લોકો સીટ પરથી ઊભા થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા: “શ્વાસ નથી આવતો, ગેટ ખોલો… તાત્કાલિક ટેકઓફ અટકાવો.”
પરિસ્થિતિ વણસતા ક્રૂએ ટેકઓફ રદ કર્યો અને ફ્લાઇટને પાર્કિંગ બેમાં પરત લાવવામાં આવી. દરવાજા ખોલ્યા બાદ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા.
વ્હીલચેર પર લઈ જવી પડી, ‘સ્પાઇસજેટ બંધ કરો‘ના નારા
એક કલાકથી વધુ સમય ગરમીમાં ફસાયા બાદ કેટલીક મહિલાઓને ચક્કર આવવા લાગ્યા. તેમને વ્હીલચેરની મદદથી ટર્મિનલ સુધી લઈ જવી પડી.
ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ ગુસ્સે ભરાયેલા 100થી વધુ મુસાફરોએ મુસાફરીનો સીધો ઇનકાર કરી દીધો. ટાર્મેક પર ઉભા રહીને મુસાફરોએ “સ્પાઇસજેટ બંધ કરો”ના નારા પણ લગાવ્યા.
સવારે 5:30 વાગ્યે વૈકલ્પિક ફ્લાઇટ
હોબાળા બાદ સ્પાઇસજેટે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી. આ વૈકલ્પિક ફ્લાઇટ બુધવારે, 12 ઓગસ્ટે સવારે 5:30 વાગ્યે દિલ્હીથી રવાના થઈ અને સવારે 7:00 વાગ્યે પુણે પહોંચી.
સમગ્ર ઘટના અંગે સ્પાઇસજેટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
