રામ મંદિરમાં દાન ચોરી મામલે મોટી કાર્યવાહી: ગણતરી કરનારા 36 સ્ટાફની હકાલપટ્ટી, ટ્રસ્ટની હાઈ-વોલ્ટેજ બેઠક
ભગવાન રામના ઘરમાં દાન ચોરીનો મામલો સામે આવતા જ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક્શન મોડમાં આવ્યું છે. દાનની ગણતરી કરનારી આખી જૂની ટીમને હટાવી દેવામાં આવી અને હવે આ કામ બેંકના હાથમાં સોંપાયું. 349 કર્મચારીઓની તપાસથી લઈને નવા મહાસચિવની નિમણૂક સુધી ટ્રસ્ટમાં આજે મોટા નિર્ણયો થવાના છે.
દાન ચોરી બાદ ટ્રસ્ટનું મોટું પગલું, 36 કર્મચારી હટાવાયા
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમમાં ગેરરીતિનો કિસ્સો સામે આવ્યા બાદ ટ્રસ્ટે વહીવટી અને સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે.
સૌથી મોટો નિર્ણય દાન ગણતરી પ્રક્રિયાને લઈને લેવાયો. દાન ગણતરી સાથે જોડાયેલા જૂના તમામ 36 કર્મચારીઓને તાત્કાલિક અસરથી પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. હવે મંદિરમાં આવતા રોકડ દાનની સમગ્ર ગણતરી SBI દ્વારા નિયુક્ત નવા અને અધિકૃત સ્ટાફ કરશે. ટ્રસ્ટ અને SBIએ આ અંગે સંયુક્ત રીતે નવી સિસ્ટમ લાગુ કરી છે.
349 કર્મચારીઓની સ્ક્રીનિંગ, સુરક્ષા વ્યવસ્થા કડક
ગેરરીતિની કોઈ શક્યતા ન રહે તે માટે ટ્રસ્ટે મંદિરમાં કાર્યરત તમામ 349 કર્મચારીઓની સ્ક્રીનિંગ પ્રક્રિયા શરૂ કરી છે. આમાં કર્મચારીઓની પૃષ્ઠભૂમિકા, રેકોર્ડ અને કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે ટ્રસ્ટે આ પગલું ભર્યું છે.
આજે ટ્રસ્ટની મહત્વની બેઠક, નવા મહાસચિવની પસંદગી
દાન ચોરી પ્રકરણની વચ્ચે આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની હાઈ-વોલ્ટેજ બેઠક યોજાવાની છે. આ બેઠક બપોરે 3:00 અને 4:00 વાગ્યે બે સત્રોમાં થશે.
બેઠકના મુખ્ય એજન્ડા આ મુજબ છે:
– નવા મહાસચિવની નિમણૂક: પૂર્વ મહાસચિવ ચંપત રાયના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા પર નવા મહાસચિવની પસંદગી થશે. સૂત્રોના મતે નવા મહાસચિવ VHPમાંથી જ હશે.
– નવા સભ્યોનો સમાવેશ: ડો. અનિલ મિશ્રના રાજીનામા અને બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રના નિધન બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. રાજપરિવારના સભ્ય અને સાહિત્યકાર યતીન્દ્ર મિશ્ર તેમજ અયોધ્યાના કોઈ પ્રમુખ સંતને ટ્રસ્ટમાં સ્થાન મળવાની શક્યતા છે.
ટ્રસ્ટનો સ્પષ્ટ સંદેશ છે કે મંદિરની પવિત્રતા અને ભક્તોના દાનની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
