રાજકોટના જંગલેશ્વરમાં 26મીથી રોડ પહોળો કરવાનું શરૂ કરાશે: ખાતમુહૂર્ત કરી દસ જ દિવસમાં રોડ 50 ફૂટનો કરવાની મહાપાલિકાની જાહેરાત
Rajkotમાં દબાણ થયેલી જગ્યા તેમજ મકાન સહિતના ગેરકાયદે બાંધકામોની દૃષ્ટિએ ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે, જે આજે મંગળવારે પૂર્ણ થવાનું છે. ત્યારે સૌ કોઈના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે ડિમોલિશન પૂર્ણ થયા બાદ શું?
આ પ્રશ્નનો જવાબ નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ટાઉન પ્લાનિંગ (TP) રોડ પરના દબાણો દૂર કર્યા બાદ હવે ત્યાં રસ્તો પહોળો કરવામાં આવશે. હાલ આ રસ્તો માંડ 20 ફૂટનો હોવાથી વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ ઉભી થતી હતી. ડિમોલિશન બાદ હવે આ રસ્તાને 50 ફૂટ પહોળો કરવાની યોજના અમલમાં મુકવામાં આવશે.
રસ્તો પહોળો કરવાની કામગીરી ગુરુવારથી સોમવાર દરમિયાન શરૂ કરવામાં આવશે અને આ 5 દિવસમાં ગમે ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાતમુહૂર્ત બાદ 10 દિવસની અંદર રસ્તો પહોળો કરવાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાનો તંત્રનો લક્ષ્યાંક છે. રસ્તો પહોળો કરવાની વિગતવાર યોજના તૈયાર થઈ ચૂકી છે અને મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોકલવામાં આવી છે. મંજૂરી મળતાં જ ઝડપી ગતિએ કામગીરી શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત Aji Riverનો પટ, જ્યાં ચોમાસામાં કમરડૂબ પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ ગંભીર બની જતી હતી, ત્યાં ડિમોલિશન અનિવાર્ય બન્યું હતું. હવે ડિમોલિશન પૂર્ણ થયા બાદ નદીના પટ પાસે સુરક્ષા માટે મજબૂત અને ઊંચી દિવાલ બનાવવાનું આયોજન પણ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
