હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો
કોરોના પછી હ્રદયરોગના પ્રમાણમાં અચાનક જ વધારો જોવા મળ્યો હતો અને ત્યારે ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રમાણ વધવા પાછળ કોરોનાની રસીની આડઅસર છે. જો કે, તબીબી રીતે આ વાત સાબિત થઇ ન હતી પરંતુ અત્યારના સંજોગોમાં પણ હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે હ્રદયરોગને લગતી દવાઓના વેંચાણના આંકડા બહાર આવી રહ્યા છે તે જોતા આ પ્રમાણ ઘણું વધારે છે. જે ડેટા બહાર આવ્યો છે તે જોતા અમદાવાદ, સૌરાષ્ટ્ર, વડોદરા અને સુરત તેમજ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં 12-17 ટકાનો વધારો થયો છે, જે આશરે ₹315 કરોડ થી ₹693 કરોડની વચ્ચે છે.
સુત્રો અનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18.4 ટકાના દરે કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ આંકડા ચિંતાજનક છે અને સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતમાં હ્રદય રોગનું હોટસ્પોટ તરીકે ઉપસી રહ્યુ છે. અમદાવાદમાં પણ હ્રદયરોગની દવાઓમાં ડબલ ડીજીટનો વધારો થયો છે. વડોદરામાં પણ ધીરે ધીરે દવાઓનું વેંચાણ વધી રહ્યું છે જયારે સુરત અને દાદરા-નગરહવેલી વિસ્તારમાં દવાના વેંચાણમાં ડબલ ડીજીટનો વધારો થઇ રહ્યો છે.
રાજ્યમાં ઘણા સમયથી મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ યુવાનોમાં પણ હાર્ટના રોગોનું પ્રમાણ વધ્યું છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે, જેમાં એક મહિનામાં જ 9 યુવાનોના મોત થયા છે. જેના પરથી માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં યુવાનોમાં પણ હૃદયરોગના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન સામે આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં કાર્ડિયાકની દવાઓનું વેચાણ અન્ય કોઈપણ દવાના વિભાગ કરતા વધુ ઝડપથી વધી રહ્યું છે.
હકીકતમાં, રાજ્યના મુખ્ય વિસ્તારોમાં હૃદયરોગની દવાઓનું વેચાણ એન્ટી-ડાયાબિટીક 11 ટકા સહિતની અન્ય મોટાભાગની ઉપચારો કરતા વધારે છે. આ બાબત નોંધપાત્ર છે કારણ કે ગુજરાતને ભારતની ડાયાબિટીસ રાજધાની માનવામાં આવે છે. સમાન ગાળા દરમિયાન એન્ટી-ઇન્ફેક્ટિવ્સમાં 3-7 ટકા, વિટામિન અને મિનરલ સપ્લીમેન્ટ્સમાં 5-10 ટકા, અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલમાં 3-5ટકા નો વધારો જોવા મળ્યો હતો.
ગુજરાતમાં હૃદયરોગની દવાઓમાં 13 ટકા નો વધારો જોવા મળ્યો છે, જેની સામે રાજ્યના એકંદર ફાર્મા માર્કેટમાં 8 ટકાનો વૃદ્ધિ દર રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી આ ટ્રેન્ડ સમાન રહ્યો છે, જેમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં 10-18 ટકાનો વધારો નોંધાયો હતો
હ્રદયરોગના કેસ આ કારણોસર વધી રહ્યા છે
આજે લોકોની લાઈફસ્ટાઈલ બહુ ફાસ્ટ બની ગઈ છે. બેઠાડુ કામ, વધતો જતો તણાવ અને તેના પરિણામે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના કિસ્સાઓ વધ્યા છે. અમદાવાદમાં તો પહેલેથી જ હૃદયરોગની દવાઓનું સૌથી વધુ વેચાણ થાય છે, જ્યારે સૌરાષ્ટ્ર સૌથી ઝડપથી વિકસતા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું હતું. સુરત અને વડોદરામાં પણ વેચાણમાં સતત વધારો જોવા મળ્યો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠાડુ દિનચર્યા, ખાવાની નબળી આદતો અને વ્યાયામનો અભાવ આ ટ્રેન્ડના મુખ્ય ચાલક બળો છે. હવે નાની ઉંમરમાં જ હૃદયરોગનું નિદાન થઈ રહ્યું છે. આ સ્થિતિ ક્રોનિક હોવાથી દવાનો વપરાશ સતત જળવાઈ રહે છે.
