T20 વર્લ્ડ કપ 2026 પૂરો થતાં જ સૂર્યા સહિત આ 5 ખેલાડીઓ થઈ શકે નિવૃત્ત: વધતી ઉંમર, ખરાબ ફોર્મ સહિતના કારણો જવાબદાર
ટી-20 વર્લ્ડકપ-2026માં સુપર-8 રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. 8 ટીમ વચ્ચે ચેમ્પિયન બનવા માટે 8 માર્ચ સુધી જંગ ચાલશે. આ વર્ષે વર્લ્ડકપ બાદ અમુક ખેલાડી એવા પણ છે જે ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ સહિતના સ્ટાર પ્લેયર્સ સામેલ છે.
સૂર્યકુમાર યાદવ (ભારત)
ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની નિવૃત્તિ દરેક માટે ચોંકાવનારી બની શકે છે. 35 વર્ષીય સૂર્યા ટીમની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ વધી રહેલી ઉંમર અને ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખી તે વર્લ્ડકપ બાદ ટી-20 ફોર્મેટમાંથી હટી શકે છે જેથી યુવા ખેલાડીઓને તક મળી શકે. જો કે તેનું ફોર્મ ભારત માટે હંમેશા મહત્ત્વનું રહ્યું છે, આમ છતાં 2026નો વર્લ્ડકપ તેના આંતરરાષ્ટ્રીય કરિયરનો અંતિમ તબક્કો બની શકે છે.
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે અને હવે માત્ર ટી-20 ઇન્ટરનેશનલ જ રમે છે. મેક્સવેલ હવે 37 વર્ષનો છે. પૂર્વ દિગ્ગજ રિકી પોન્ટિંગે પણ સંકેત આપ્યો છે કે આ વર્લ્ડકપ મેક્સવેલની અંતિમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હોઈ શકે છે. વર્લ્ડકપમાં તેનું ખરાબ ફોર્મ પણ તેની નિવૃત્તિ માટે નિમિત્ત બની શકે છે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થયું હતું.
ડેવિડ મીલર (દક્ષિણ આફ્રિકા)
આફ્રિકાનો દિગ્ગજ મીડલ ઑર્ડર બેટર ડેવિડ મીલર લાંબા સમયથી ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. 2010થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા મિલરે 2024 વર્લ્ડકપના ફાઈનલમાં હાર બાદ 2026ને પોતાનું અંતિમ લક્ષ્ય બનાવ્યું હતું. હવે જ્યારે ટૂર્નામેન્ટ પોતાના નિર્ણાયક તબક્કામાં છે ત્યારે મિલર આફ્રિકાની જર્સીમાં પોતાની અમુક જ મેચ રમતો જોવા મળશે. મિલરની નિવૃત્તિ ટીમ માટે મોટી ખોટ સાબિત થઈ શકે છે.
મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન)
અફઘાનિસ્તાન ક્રિકેટનો સૌથી સીનિયર ખેલાડી મોહમ્મદ નબી 41 વર્ષની ઉંમરે આ વર્લ્ડકપના સૌથી વયોવૃદ્ધ ખેલાડીઓ પૈકીનો એક છે. નબી વન-ડે ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. અફઘાનિસ્તાન સુપર-8ની રેસમાંથી બહાર થયા બાદ નબી વર્લ્ડકપ પૂર્ણ થયા પછી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી શકે છે. ઉભરી રહેલી અફઘાન ટીમની ભવિષ્યની યોજનાઓમાં પણ નબી હવે ફિટ બેસી રહ્યો નથી.
આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ)
ઇંગ્લેન્ડનો દિગ્ગજ લેગ સ્પિનર આદિલ રાશિદ પણ કરિયરના અંતિમ મુકામ પર છે. 37 વર્ષીય રાશિદ ઇંગ્લેન્ડની 2019 અને 2022ની વર્લ્ડકપ જીતનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. ટી-20 ફોર્મેટમાં તેની સચોટ બોલિંગ અને વિકેટ લેવાની ક્ષમતા અદ્ભુત રહી છે, પરંતુ આ ટૂર્નામેન્ટ બાદ તે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. ઇંગ્લેન્ડના અનેક ખેલાડીઓ નિવૃત્ત થયા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવાની શક્યતા છે.
