ન્યુયોર્કની પીચ છે કે બેટરો માટે આફત ?
આયર્લેન્ડના બેટરો ભારતીય બોલરોને ખમી ન શક્યા, રોહિત શર્મા પણ થયો ઈજાગ્રસ્ત
:હજુ આ જ ગ્રાઉન્ડ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે: દિગ્ગજોએ ઉઠાવ્યા સવાલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) હંમેશા સ્પોર્ટિંગ પીચનું ગાણું ગાયે રાખે છે પરંતુ બે મેચને બાદ કરી દઈએ તો તેની દેખરેખ હેઠળ રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં અત્યાર સુધી ક્યાંય સારી પીચ જોવા મળી નથી. ખાસ કરીને ન્યુયોર્કની ડ્રોપ ઈન પીચ કે જે વૈશ્વિક સ્તરની નથી. ભારતમાં જ્યારે પણ મેચ રમાય ત્યારે અહીંની પીચ ઉપર સવાલો ઉઠાવાય છે પરંતુ ન્યુયોર્કની પીચ ઉપર ઉઠી રહેલા સવાલો સામે આઈસીસી મૌન છે.
આયર્લેન્ડ ટીમ તો ભારતીય ફાસ્ટ બોલરોને ખમી જ શકી ન્હોતી. બીજી બાજુ એક અસમાન બાઉન્સવાળો બોલ કેપ્ટન રોહિત શર્માના બાવડાં પર લાગતાં તેણે રિટાયર્ડ થઈને બહાર જવું પડ્યું હતું. એટલું જ નહીં ભારતીય દર્શક અહીં સારી મેચ જોવા આવ્યા હતા પરંતુ તેણે ઓછા સમયમાં મેચ જોઈને પરત ફરવું પડ્યું હતું. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારત-આયર્લેન્ડ વચ્ચેની મેચમાં પીચને અત્યંત આંચકાજનક ગણાવી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પણ પીચની ટીકા કરી છે. ઈરફાન પઠાણે કહ્યું કે આપણે નિશ્ચિત રીતે અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માંગીયે છીએ પરંતુ અહીંની પીચ ખેલાડીઓ માટે સુરક્ષિત નથી. જો આવી પીચ ભારતમાં હોય તો લાંબા સમય સુધી ત્યાં પછી કોઈ જ મેચ રમાડવામાં આવે નહીં.
અમેરિકામાં ન્યુયોર્ક ઉપરાંત ડલાસ અને ફ્લોરિડામાં મેચ રમાઈ રહી છે. મેચ બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોર પીચ જોવા આવ્યા હતા. તેમણે એ પીચને પણ જોઈ જ્યાં ભારતે પાકિસ્તાન સામે રમવાનું છે. ભારતે હજુ આ મેદાન ઉપર વધુ બે મેચ રમવાની છે. આઈસીસીના જનરલ મેનેજર ક્લેયર ફર્લાંગે કહ્યું કે પીચની તપાસ ચાલી રહી છે. મેચ અધિકારી તેને રેટિંગ આપશે.