ભારે કરી !! રાજકોટમાં ત્રિકોણ બાગથી માલવિયા ચોક સુધીનો રસ્તો પહોળો કરવાનું જ મનપા ભૂલી ગઈ !
તત્કાલિન કમિશનર આનંદ પટેલે મહિનાઓ અગાઉ રસ્તો પહોળો કરવાની જાહેરાત કર્યા બાદ કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તોને સાંભળવામાં પણ આવ્યા’તા
હવે મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, સિટી ઈજનેર કોઈને આવો કોઈ ઈરાદો જાહેર થયાનું યાદ' જ નથી
દરરોજ હજારો વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
રાજકોટ અને ટ્રાફિક સમસ્યા જાણે કે સિક્કાની બે બાજુ હોય તેવી રીતે ક્યારેય એકબીજાથી અલગ પડી શકે તેમ નથી ! આ પાછળ જેટલો વાંક પ્રજાનો છે એટલો જ અને કદાચ તેના કરતા પણ વધુ વાંક તંત્રનો પણ છે. પહેલાં તંત્ર આડેધડ દબાણ ખડકાવા દે છે અને પછી તેની સામે કાર્યવાહી કરવામાં કાચબા કરતા પણ વધુ આળસ કરે છે ! આવી જ એક ટ્રાફિક સમસ્યા ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીના રસ્તા પર દરરોજ સર્જાઈ રહી છે જેના કારણે આ રસ્તાને પહોળો કરવા માટે અંદાજે દસેક મહિના પહેલાં તત્કાલિન મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
જો કે જેવા તેઓ બદલાયા કે મહાપાલિકા આ કામ શરૂ કરવાનું જ ભૂલી ગઈ હોય તેવો તાલ સર્જાયો છે. ત્રિકોણ બાગથી માલવિયા ચોક સુધીનો અત્યારનો રસ્તો ૨૦ મીટરનો છે પરંતુ અહીં વાહનોની અવર-જવરમાં દરરોજ વધારો થઈ રહ્યો હોવાને કારણે તેને ૨૦માંથી ૨૩ મીટરનો કરવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ માટે રસ્તાની બન્ને બાજુ દોઢ-દોઢ મીટર કપાત મુકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે કપાતમાં બે સરકારી સહિત ૨૦ મિલકતો આવતી હોવાથી તેના અસરગ્રસ્તો સાથે મહાપાલિકા કચેરીમાં જ એક બેઠક મળી હતી જેમાં મહદ અંશે તેઓ સહમત પણ થયા હતા. કપાતના બદલામાં મહાપાલિકા દ્વારા વળતરરૂપે ચાર વિકલ્પ પણ આપવામાં આવ્યા હતા જેમાં જમીન સામે જમીન, જંત્રી ભાવ પ્રમાણે રોકડ વળતર, બિલ્ડિંગ પ્લાન મંજૂરી સમયે એફએસઆઈ માર્જિન તેમજ પાર્કિંગમાં થોડી છૂટછાટ અને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ (ટીડીઆર)નો સમાવેશ થાય છે.
આ બેઠક પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરાશે તેવી વાતો પણ કરવામાં આવી હતી. જો કે તત્કાલિન કમિશનર આનંદ પટેલની બદલી થયા બાદ તેમના સ્થાને ડી.પી.દેસાઈ હાલ કાર્યરત છે. જ્યારે તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા જેલમાં જતાં તેના સ્થાને પંડ્યા ઈન્ચાર્જ તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર તરુકે અતુલ રાવલ છે. આ ત્રણેય અધિકારીને પૂછવામાં આવતાં તેમને આવો કોઈ ઈરાદો જાહેર કરવામાં આવ્યો હોવાની વાત જ
યાદ’ ન હોવાનો જવાબ મળ્યો હતો.
એકંદરે આ મહત્ત્વપૂર્ણ કામ જ કરવાનું મહાપાલિકા જાણે કે ભૂલી ગઈ હોય તેવી રીતે ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રસ્તો પહોળો કરવાનું કામ શરૂ થઈ શક્યું નથી !