અમને ખતમ કરવા માટે હરીફો કાળુ જાદુ અજમાવી રહ્યા છે
- કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શિવકુમાર નો દાવો
- કેરળમાં અઘોરીઓ અને તાંત્રિકો દ્વારા યજ્ઞ કરવામાં આવતો હોવાનો દાવો
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે તેમને અને મુખ્યમંત્રી સીદ્ધારમૈયાને ખતમ કરી નાખવા માટે તેમજ કર્ણાટકની કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા માટે રાજકીય હરીફો દ્વારા બ્લેક મેજીકનો આશરો લેવાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
કેરળના રાજરાજેશ્વર મંદિર નજીક એક એકાંત જગ્યામાં અઘોરીઓ અને તાંત્રિકો દ્વારા આ વિધિ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. એ વિધિમાં ભાગ લેનાર કેટલાક લોકોએ જ આ માહિતી આપી હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ વિધિ કોણ કરાવી રહ્યું છે તેની પોતાને જાણકારી હોવાનું તેમણે જણાવ્યું હતું પરંતુ પત્રકારોના સવાલ છતાં નામ આપવાનું ટાળ્યું હતું.તેમણે કહ્યું કે આવી વિધિઓ કે આવા કારસાથી હું ડરતો નથી. હું જેમાં શ્રદ્ધા ધરાવું છું તે શક્તિ મારું રક્ષણ કરે છે.
શિવકુમારે યજ્ઞ વિશે વિસ્તૃત માહિતી આપી
ડી કે શિવકુમાર એ કહ્યું કે અઘોરીઓ અને તાંત્રિકો દ્વારા ‘રાજા કાન્તા ‘અને ‘મારણ મોહન સ્તંભન ‘ નામના યજ્ઞો અને અન્ય મારણ વિધિઓ ચાલી રહી છે. આ યજ્ઞોમાં 21 લાલ બકરી, ત્રણ પાડા, 21 કાળા ઘેટાં અને પાંચ ભૂંડનું બલિદાન આપવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.