લોહી નીંગળતા શરીરો સાથે બે કલાક લડ્યા આતંકીઓ ઉપર 5189 ગોળીઓ વરસાવી
કઠુઆ એન્કાઉન્ટર: મા ભારતીના વીર સપૂતોએ રચ્યો મહામૂલા બલિદાનો,અપ્રતિમ શોર્ય અને દેશભક્તિનો ભવ્ય ઇતિહાસ
જમ્મુના કઠુઆમાં 8મી જુલાઇએ આર્મીના બે વાહનો ઉપર થયેલા આતંકવાદી હુમલા સમયે ભારતના બહાદુર જવાનોએ પ્રતિકૂળ સંજોગો અને સામેથી થઈ રહેલા અવિરત ગોળીબાર વચ્ચે ગંભીર ઇજાઓ હોવા છતાં અપ્રતિમ શૌર્ય દાખવી વધુ જાનહાનિ અટકાવી હતી અને આતંકવાદીઓને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા.બે કલાક સુધી ગઢવાલ રેજીમેન્ટના આ વીર જવાનો સતત લડતાં રહ્યા હતા અને એ દરમિયાન આ જવાનોએ આતંકવાદીઓ ઉપર 5189 ગોળીઓ વરસાવી હતી.
ભારતના પાંચ જવાનોનો ભોગ લેનાર આ ઘટના અંગે સેના દ્વારા ઘાયલ જવાનો પાસેથી વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી.ઘટના સ્થળેથી લોહીથી ખરડાયેલી હેલમેટો,વાહનોના તૂટેલા કાચ, ફાટી ગયેલા ટાયરો,ફૂટેલા શેલ વગેરે પુરાવા તરીકે એકત્ર કરવામાં આવ્યા હતા.
બહાર આવેલી વિગતો મુજબ સેનાના બે વાહનો કથુઆ થી 150 કિલોમીટર દૂર માચેડી – કીન્ડલી – મલ્હાર ના પહાડી રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે બાડનોટા નામના ગામ નજીક બપોરે 3.30 વાગ્યાના અરસામાં ત્રણ આતંકવાદીઓએ આ વાહનો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.આ અણધાર્યા હુમલા સામે ઘડીના પણ વિલંબ વગર જવાનો પોઝીશનમાં આવી ગયા હતા અને વળતો ગોળીબાર શરૂ કરી દીધો હતો.આ હુમલામાં પાંચ જવાનો વીરગતિ પામ્યા અને અન્ય જવાનો ઘાયલ થયા છતાં આ બહાદુર સપૂતો બે કલાક સુધી લડતા રહ્યા હતા.આતંકવાદીઓનો ઇરાદો તો બધાં જવાનોને મારી નાખી સેનાના હથિયારો ઉઠાવી જવાનો હતો પણ ભારતીય સૈનિકોએ અભૂતપૂર્વ શૌર્ય સાથે સામનો કરી વળતો હુમલો કરતા અંતે આતંકવાદીઓને ભાગવું પડ્યું હતું.
આતંકવાદીઓએ બે અલગ અલગ લોકેશન ઉપરથી હુમલો કર્યો હતો અને પરિણામે ભારતીય સૈનિકો માટે મોટો પડકાર સર્જાયો હતો પણ એ પ્રતિકૂળ સંજોગો અને હુમલાખોરો તરફથી અધતન હથિયારો દ્વારા અવિરત વરસતી ગોળીઓ વચ્ચે પણ જવાનોએ કરેલી વળતી કાર્યવાહી અને બહાદુરીએ ભારતીય સેનાના કૌશલ્ય,સાહસ,દેશભક્તિ અને મા ભોમની રક્ષા કાજે સમર્પણનો ભવ્ય ઇતિહાસ રચી દીધો હતો.
એક હાથ ગોળીઓથી વીંધાઈ ગયો છતાં બે કલાક સુધી લડ્યો
આતંકવાદીઓએ સેનાના વાહનો પર ગ્રેનેડ વડે હુમલો કરતાં રાયફલમેન કાર્તિક સિંઘ નો જમણો હાથ વીંધાઈ જતા ભારે રક્ત સ્ત્રાવ થવા લાગ્યો હતો પણ હિંમત હાર્યા વગર તેની રાયફલ જામ થઈગઈ ત્યાં સુધી તેણે ડાબા હાથે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. 22 ગઢવાલ રેજીમેન્ટના જવાનો ‘ બદ્રી વિશાલ કી જય ‘ ના નારા સાથે આતંકવાદીઓ પર તૂટી પડ્યા હતા. સામી છાતીએ, મોતને મુઠ્ઠીમાં લઈ ભારતમાતાના આ વીર સપૂતોએ કરેલા અવિરત જવાબી ગોળીબારથી આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેમને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
કોઈને જીવતા નહીં છોડીએ:સેનાનો હુંકાર
સેનાના એક અધિકારીઓ જણાવ્યું હતું કે પાંચ જવાનોના બલિદાન એળે નહીં જાય.એક પણ આતંકવાદીને જીવતો નહીં છોડાય. પાતાળમાંથી પણ શોધીને પતાવી દેશુ. સેના દ્વારા ભારે વરસાદ વચ્ચે પણ કઠુઆ ,ઉધમપુર અને ભદ્રવાહના ગાઢ જંગલોમાં ભાગી છુટેલા આતંકવાદીઓને પકડવા હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરાયું હતું. ચોક્કસ વિસ્તારોમાં સર્જીકલ ઓપરેશન કરવા માટે આર્મીના ‘ પેરા કમાન્ડો ‘ ને પણ તૈનાત કરાયા છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 50 લોકોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી છે. આ હુમલામાં કેટલાક સ્થાનિક લોકોનો આતંકવાદીઓને સહકાર હોવાની આશંકા છે.