રાજકોટમાં મવડી રેવન્યુ સર્વે નંબર ૯૯ માં આવેલા પ્લોટ પર માખાવડના માતા-પુત્રોએ ગેરકાયદે કબજો કરી અહીં મકાન બનાવી ભાડે પણ આપી દીધું હતું. જ્યારે પ્લોટ માલિક મહિલા અને તેના પરિવારે અહીંથી કબજો ખાલી કરવાનું કહેતા એટ્રોસિટીની ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી. જેથી અંતે આ બાબતે કલેક્ટર કચેરીમાં અરજી કર્યા બાદ માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર-૧૪ માં રહેતા મોતીબેન માંડાભાઈ ચિરોડિયા(ઉ.વ ૫૦) નામના ભરવાડ મહિલાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના માખાવડ ગામે રહેતા નંદુબેન દાનાભાઈ સોમૈયા અને તેના બે પુત્ર કિશન અને રવિના નામ આપ્યા છે.મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં મવડી રેવન્યુ સર્વે નંબર ૯૯ તથા ૧૦૦ પૈકી બિનખેડવાણ ઇમારત બાંધવાની મંજૂરીવાળી જમીનના પ્લોટ પૈકી પ્લોટ નંબર ૪૬ તેમણે કિસાન કોરાટ, અરવિંદ ચૌહાણ અને જયંતી લીલાની સંયુક્ત માલકીનો આ પ્લોટ ખરીધો હતો અને તેનો વેચાણ દસ્તાવેજ પણ તેના નામે કરાવ્યો હતો.
ઓગસ્ટ ૨૦૧૪માં તે તથા તેમના પતિ અહીં પ્લોટે જ હતા. માલુમ પડું હતું કે તેમની માલિકીના પ્લોટની બાજુમાં રહેતા નંદુબેન અને તેના બે પુત્ર કિશન તથા રવિએ અહીં તેમના પ્લોટમાં પથ્થરો નાખ્યા છે.જેથી તેઓએ તેમની પાસે જઇ પથ્થરો હટાવી લેવાનું કહેતા તેમણે કહ્યું હતું કે, આ પ્લોટ અમારી માલિકીનો છે. અને હવે પછી અહીં આવતા નહીં નહિતર સારાવટ નહીં રહે બાદમાં વર્ષ 2022ના ફરિયાદી પ્લોટમાં આરોપીઓએ બાંધકામ ચાલુ કર્યું હતું. જેથી તેઓને સમજાવતા આરોપીએ એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકીઓ આપી હતી.જેથી તેઓએ રાજકોટ કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગમાં કમિટીમાં અરજી કરતાં માલવિયા પોલીસે નંદુબેન અને તેના બંને પુત્રો કિશન અને રવિ સામે લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.