રોહિત-કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે: જય શાહ
આવતાં વર્ષે પાકિસ્તાનની યજમાનીમાં રમાશે ટૂર્નામેન્ટ: હવે ભારતનો લક્ષ્યાંક ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો
ભારતીય ટીમના ત્રણ ધુરંધર રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ વર્લ્ડ કપ જીત્યાના ૨૪ કલાકની અંદર જ સન્યાસનું એલાન કરીને સૌને ચોંકાવી દીધા બાદ હવે ક્રિકેટરસિકોના માનસમાં એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે આ ત્રણેય આવતાં વર્ષે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં ? દરમિયાન બીસીસીઆઈ સચિવ જય શાહે આ અંગે નિવેદન આપ્યું છે.
જય શાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આવતાં વર્ષે પાકિસ્તાનની યજમાનીમાં રમાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સીનિયર ખેલાડીઓ ટીમમાં સામેલ હશે. આ ત્રણેય મળીને વધુ એક આઈસીસી ટ્રોફી ભારતની ઝોળીમાં લાવવા માટે મહેનત કરશે. જય શાહે કહ્યું કે જે પ્રકારે ટીમ આગળ વધી રહી છે તેને જોતાં આપણો આગલો લક્ષ્યાંક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ જીતવાનો છે. આ ટૂર્નામેન્ટમાં લગભગ એ જ ટીમ રમશો જે અત્યારે રમી રહી છે. સીનિયર ખેલાડીઓ ટીમનો હિસ્સો જરૂર રહેશે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીએ ભારતીય ટીમના વર્લ્ડકપના દુકાળને સાથી ખેલાડીઓ સાથે મળીને અંતે ખતમ કર્યો છે. વર્ષ ૨૦૧૧માં ટીમ ઈન્ડિયાએ ધોનીની આગેવાનીમાં વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. કોહલી પણ આ ટીમનો હિસ્સો હતો પરંતુ રોહિત તેમાં સામેલ ન્હોતો. પાછલા વર્ષે વન-ડે વર્લ્ડકપના ફાઈનલમાં ભારતને હાર મળી અને તમામ ચાહકો સાથે રોહિતનું દિલ પણ તૂટી ગયું હતું. જો કે થોડા મહિનાની અંદર જ ટીમે વર્લ્ડ ચેમ્પિયન બનીને તેની ભરપાઈ કરી દીધી હતી.