જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કરી ભવિષ્યવાણી
મોદી સપ્ટેમ્બરમાં નિવૃત, અમિત શાહ વડાપ્રધાન અને યોગી ઘરભેગા
-મોદીનું વિપક્ષને ખતમ કરવાનું ષડયંત્ર: દેશભરમાં તાનાશાહી સામે પ્રચાર કરીશ
-૪થી જુને ભાજપ નહી પણ કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવા જેલની બહાર આવ્યા બાદ શનિવારે હનુમાનજીની પૂજા કરીને એક પત્રકાર પરિષદ સંબોધી હતી . તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરીને એવો આરોપ મૂક્યો હતો કે વિપક્ષી નેતાઓને ખતમ કરવાનું ષડયંત્ર રચાયું છે. મોદી અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. હવે આ લોકો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. ભાજપે પોતાના અનેક નેતાઓનો સફાયો કર્યો છે અને હવે યુપીના યોગીનો વારો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, “આ લોકો સવાલ કરે છે કે ‘ઈન્ડિયા’ ગઠબંધનના PM કોણ હશે? ભાજપને મારો પ્રશ્ન એ છે કે તમારા પ્રધાનમંત્રી કોણ હશે ? કારણ કે નરેન્દ્ર મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ પોતે 2014માં એક નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રિટાયર કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન અને યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે પીએમ મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બનશે તો આગામી બે મહિનામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવી દેવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે.
કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.
કેજરીવાલે કહ્યું કે આપણો દેશ 4000 હજાર વર્ષ જૂનો છે. જ્યારે પણ દેશમાં કોઈએ સરમુખત્યારશાહી માટે પ્રયાસ કર્યો છે. જનતાએ તેને હાંકી કાઢ્યો. હું તેમની સામે લડી રહ્યો છું. હું દેશના 140 કરોડ લોકો પાસેથી ભીખ માંગું છું. દેશ બચાવો. સુપ્રીમ કોર્ટે 21 દિવસનો સમય આપ્યો છે. હું દેશભરમાં પ્રવાસ કરીશ. મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે.
તેમણે ઉમેર્યું હતું કે 4 જૂન પછી ભાજપની સરકાર બની રહી નથી. હરિયાણા, દિલ્હી, બિહાર, ઝારખંડ, યુપી અને અન્ય રાજ્યોમાં તેમની બેઠકો ઘટી રહી છે. ભારતમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનશે.
ભાજપે તેના નેતાઓનો સફાયો કર્યો
કેજરીવાલે વધુમાં કહ્યું કે જો તમારે ભ્રષ્ટાચાર સામે લડવું હોય તો કેજરીવાલ પાસેથી શીખો. મેં મારા નેતાને ભ્રષ્ટાચાર સામે સીબીઆઈને સોંપ્યો હતો. સરમુખત્યાર લોકશાહીને ખતમ કરવા માંગે છે. દેશને સરમુખત્યારથી બચાવવાનો સમય આવી ગયો છે.
ભગવંત માને કહ્યું કે, પીએમ મોદીને ત્રણ તબક્કાની ચૂંટણીમાં ખબર પડી ગઈ છે કે આ વખતે તે 400ને પાર નહીં કરે. સરમુખત્યારશાહીનો એક જ યુગ છે અને તે છે કેજરીવાલ. કેજરીવાલ એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે. તમે એક વ્યક્તિને જેલમાં નાખી શકો છો, પરંતુ તમે વિચારને જેલમાં કેવી રીતે નાખશો?