આંધ્રને કેન્દ્ર સરકારે શું ગિફ્ટ આપી ? વાંચો
કેન્દ્ર સરકાર સાથે પોતાની માંગણીને લઈને નાયડુ અને નીતિશકુમારે પ્રેશર પોલિટીક્સ કરીને ચર્ચા જગાવી હતી અને અંતે નાયડુને સરકારે ગિફ્ટ આપી દીધી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની બેઠકને માત્ર 5 દિવસ જ થયા છે, કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશમાં 60,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માગણી સ્વીકારી હોવાના અહેવાલો બહાર આવ્યા હતા.
ચંદ્રબાબુ નાયડુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ બીપીસીએલના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજ્યમાં રિફાઈનરી સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે. કારણ કે કેન્દ્ર સરકારમાં ટીડીપીની સાથે જેડીયુની પણ મહત્ત્વની ભૂમિકા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ વિશેષ રાજ્યના દરજ્જાની માંગ મૂકેલી છે અને જો એ શક્ય ના હોય તો વિશેષ પેકેજ આપવાની માંગ કરી છે.
ઓઈલ રિફાઈનરીને લઈને ત્રણ સ્થળો અંગે ચર્ચા થઈ છે. જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે. 23મી જુલાઈએ રજુ થનારા બેજેટમાં રિફાઈનરી અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જાણાવ્યાનુસાર, સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે. કારણ કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઈનરી સ્થાપિત કરવા પર આગ્રહ કર્યો હતો. તેમના 16 સાંસદો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપે છે. જો કે, નાયડુ સ્પષ્ટપણે સતત કહી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યના હિતોને ધ્યાનમાં રાખે છે અને કોઈપણ માંગ સાથે સરકારને તોડી પાડશે નહીં.